શ્રી છોટુભાઈ - જીવન ચરિત્ર
પરદુઃખ ભંજન, ભક્ત શિરોમણી, છોટુભાઈ – ભીષ્મ પિતામહ સમાન
મહાન શક્તિના શરણે રહેનાર, જીવનને મંગલમય બનાવનારા અને અનંત જીવોના જીવનમાં જ્ઞાનપ્રકાશ પાથરનાર એક ભક્તની આ વાત છે.
શક્તિના સિદ્ધાંતો પર ચાલનાર, પ્રખર ભક્તશિરોમણીનું જીવન એ સિદ્ધાંતો અને આદર્શોનું જીવંત સંભારણું છે.
ધાંગધ્રાના પ્રતિષ્ઠિત વેપારી " King of Cotton Seeds " શ્રી બાલચંદભાઈ ગાંધીના ઘરે ત્રણ-ત્રણ લગ્ન પછી પણ પારણું ન ઝુલ્યું. પરંતુ ચોથા લગ્ને પત્ની સમતાબેનની રત્નકુક્ષીમાંથી ધર્મનિષ્ઠ અને પુણ્યવંત આત્માએ ફૂલ જેવો તેજસ્વી બાળક જન્મ્યો. માતા-પિતા ખૂબ હરખાયા અને વાત્સલ્યનો ધોધ વહાવ્યો. દેવના લીધેલા આ દાતને "છોટુ" નામ આપવામાં આવ્યું.
અઢી વર્ષની નાજૂક વયે છોટુના પિતા દેહ ત્યાગી દેવલોક પામ્યા. આઘાતથી આખો પરિવાર તૂટી પડ્યો. બાલચંદભાઈની પેઢી (દુકાન) પર એક સ્વાર્થી માનવીએ કબજો મેળવી લીધો.
પરંતુ હિંમતવાન સમતા બા મક્કમ મનોબળ ધરાવતા હતા.
તેમનું માનવું હતું કે: " નસીબમાંથી કોઈ પણ વસ્તુ લૂંટી શકતું નથી ."
અરિહંત પર અખૂટ શ્રદ્ધા સાથે, સમતાબાએ સ્વમાને રહી પુત્રને મોટો કર્યો.
પુત્રને માત્ર ચાર ચોપડાનું ભણતર મળ્યું, પણ નાનપણથી જ જીવનના પાઠ શીખી લીધા.
માતાને મદદરૂપ થવા 14 વર્ષની વયે ભણતર છોડી કામકાજમાં જોડાઈ ગયા.
નાનપણથી જ તેમને એક અજાણી શક્તિ અંદરથી પ્રેરણા અને હિંમત આપતી હોવાનો અનુભવ થતો રહ્યો.
કુલદેવી શ્રી નાંણદેવી માંના દર્શન કરવાનું અભિલાષા જગી. તેઓ થરાદ ગામે ગયા, જ્યાં કુલદેવી માં બિરાજમાન છે.
ત્યાં વિદ્વાન બ્રાહ્મણ કિકાણી માસ્ટરની મુલાકાત થઈ, જેમને મા સ્વયં પધારતા હતા.
તેમણે માંના દર્શન કર્યા. મા એ છોટુભાઈને સંદેશ આપ્યો:
" બેટા, તને ટૂંક સમયમાં એવી પત્ની મળશે જેને આખી દુનિયા યાદ કરશે. લગ્ન થયા પછી મને ચૂંદડી ઓઢાડજે. "
મા ના વચનો અક્ષરશઃ સાચા પડ્યા.
1946 ની સાલમાં, તાલુકા સાયલાના નવાણિયા ગામની શ્રી શારદાબેન સાથે લગ્નગ્રંથિથી બંધાયા.
લગ્ન દરમિયાન અનેક વિઘ્નો અને અપશુકનોએ હાજરી આપી — લગ્નની બેગ ચોરી ગઈ, ઘી ઢળી પડ્યું, શારદાબેનનું પાનેતર ફાટેલું નીકળ્યું, અખંડ સૌભાગ્યની નિશાની ગણાતી ચૂડી માત્ર એક જ મળી… વગેરે વગેરે.
લગ્ન પછી છેડાછેડી માટે થરાદ જવાનું નક્કી થયું, જ્યાં કુલદેવી માં બિરાજમાન છે.
પૂજ્ય મા ના વચન મુજબ, માં ને ચુંદડી ઓઢાડવામાં આવી.
મા એ આશીર્વાદ રૂપે જણાવ્યું:
" પચ્ચીસ વર્ષ પછી તારા ઘરે પધારીશ, પણ ત્રણ દિવસ તારે દાળ-રોટલો ખાઈને જવું પડશે. "
છોટુભાઈએ મા ની આજ્ઞા શીરે ધરી —
ત્રણ દિવસ થરાદમાં રોકાયા અને પૂજ્ય માં ને પોતાના ઘરે પધારવા પ્રેમભર્યું આમંત્રણ આપ્યું.
મા ના આશીર્વાદ લઈને મુંબઈ ગયા. ત્યાં નોકરીમાં જોડાયા.
બે પુત્રો અને ત્રણ પુત્રીઓનો સુંદર પરિવાર થયો.
જીવનમાં સતત કસોટીઓ આવી, પરંતુ હિંમતવાન, નીતિવાન અને શ્રદ્ધાવાન પતિ-પત્નીએ કદી હાર ન માની.
સંસારનો ગાડો માં પરની અખૂટ શ્રદ્ધા, ભક્તિ અને હિંમતથી ચલાવ્યો.
બાળકોમાં ધાર્મિક સંસ્કારનું સુંદર સિંચન કર્યું.
પ્રભુભક્તિ અને નિત્ય ધાર્મિક અભ્યાસ તેમનો જીવનમૂલ્ય રહ્યો.
છોટુભાઈએ ભાવભક્તિપૂર્વક ચંડીપાઠ માટે સુંદર તૈયારી કરી. બ્રાહ્મણને આમંત્રિત કર્યા. ચૈત્રી સુદ ચૌદસે , શક્તિનું મંગળ અનુષ્ઠાન સવારે ૧૧ વાગ્યે શરૂ કર્યું.
અંદાજે ત્રણ વાગ્યે ચંડીપાઠ પૂર્ણ થયો, ત્યારે શારદાબેન માં શક્તિનો સંચાર થયો.
પૂજ્યમા એ છોટુભાઈને બે સવાલ પૂછ્યા:
" તું મને ઓળખે છે? હું કોણ છું? "
છોટુભાઈએ મક્કમતા ભર્યો જવાબ આપ્યો:
"મારા દ્વારે મારા કુળદેવી સિવાય બીજું કોઈ હોઈ શકે નહીં."
પૂજ્ય માંએ પાંચ દિવસ-રાત અખંડ રમવા માટે માંગણી કરી.
છોટુભાઈએ પ્રેમપૂર્વક કહ્યું:
"માં, આપ અમારી જ છો. આ આપનું પોતાનું જ ઘર છે.
પ્રેમથી જેમ રમવા ઈચ્છો, તે રીતે રમો."
માંએ આશીર્વાદ આપ્યા અને રજા લીધી.
પચ્ચીસ વર્ષ પહેલા આપેલું માંનું વચન સાચું પડ્યું.
ફરીથી જેઠવદ અગિયારસે પધાર્યા,
પાંચ દિવસ-પાંચ રાત અખંડ રમીને અનેક પ્રશ્નોના ઉત્તર આપ્યા,
અને મહત્વની ભવિષ્યવાણી પણ કરી.
માંએ એક પ્રશ્ન કર્યો:
" બેટા, તું મને ઓળખી ગયો? "
છોટુભાઈએ જવાબ આપ્યો:
" માં, તમે મારા કુળદેવી. પ્રેમથી રમો."
માંએ વચન આપ્યું:
" જા, તારો બેડો હવે પાર થઈ ગયો છે."
માંની સાથે જેમની આઠ-આઠ ભવની પ્રીતિ હતી,
તેવા છોટુભાઈની કસોટી માંએ લીધી.
એવી વસ્તુની માંગણી કરી જે ઘરમાં હાજર ન હતી,
પણ છોટુભાઈએ તુરંત દુકાન ખોલાવીને વસ્તુ લાવી –
માંની ઈચ્છા પૂરી કરી.
પ્રેમથી મગલાપસી જમાડી અને ઝૂલણા ઝુલાવ્યા.
માંએ પછી લક્ષ્મીનો લાલચ પણ બતાવ્યો —
"તને રાતોરાત કરોડપતિ બનાવી દઉં.
બંગલા, ગાડી આપું."
બીજું વચન કર્યું:
" મારે જગતનું કલ્યાણ કરવાનું છે.
જૈન ભાઈઓ બહુ દુઃખી છે.
તારા દ્વારે કાર્ય કરું કે નહિ?"
છોટુભાઈએ "હા" કહ્યે.
અને એ એક "હા" પર આખો ઈતિહાસ સર્જાયો .
માં પ્રસન્ન થયા અને જગત કલ્યાણના આશીર્વાદ આપ્યા.
છોટુભાઈની દસ બાય દસની નાનીસી ઝૂંપડીમાં
પૂજ્ય માં પધાર્યા — પ્રસન્ન થયા —
અને ત્યાંથી અનંત ભક્તોને આશીર્વાદ મળવા લાગ્યા.
થયું.
લક્ષ્મીની લાલચમાં ક્યારેય ફસાયા નહીં. પોતાના માટે તો કદી નહિ, પરંતુ પરિવાર માટે પણ તે અત્યંત જરૂરી હોવા છતાં લક્ષ્મી વિશે વિચાર કર્યો નહીં.
માંનું કાર્ય શું છે, તેનું છોટુભાઈને ખ્યાલ નહોતો.
આ કાર્ય કરવા માટે માંએ કડક નિયમો અને સિદ્ધાંતોનું પાલન કરવાના વચનો માંગ્યા.
એજ ઉત્તમ ઘડીથી છોટુભાઈએ પાંચ મહાવ્રતનું પાલન કરવાનો સંકલ્પ કર્યો.
સંસારમાં રહી સાધુ જેવા સંયમિત જીવન જીવવાનું વચન પૂજ્ય માંને આપ્યું.
પત્નીમાં માંના દર્શન કર્યા.
માનવતાનો અને ભક્તિનો ભેખ ધારણ કરી, ગૃહસ્થમાં રહીને સાધુત્વ અપનાવ્યું.
" માં મળ્યા એટલે સર્વસ્વ મળ્યું. હવે જેમ માં રાખે તેમ જ રહેવું " — એવો દ્રઢ નિશ્ચય કર્યો.
માંને પરોપકારના કાર્યો કરવા માટે ઘરના દ્વાર ખુલ્લા મુક્યા,
કોઈ જાતના ઊંચ-નીચ કે નાત-જાતના ભેદભાવ વગર,
જૈન સિદ્ધાંતો મુજબ કાર્ય કરવા માટે માંને આમંત્રણ આપ્યું.
જેઠવદ અમાસ અને અષાઢ સુદ એકમની રાતે, ત્રણ વાગે, માંએ વરદાન આપ્યું — અને છોટુભાઈનું ભાગ્ય ચમકી ઉઠ્યું.
પुण્યનો સૂર્ય ઝળહળી ઉઠ્યો.
ભક્તોના દુઃખ નિવારણ માટે, જૈન સિદ્ધાંતો પ્રમાણે, દીપક, રક્ષા, મંત્ર, વાસક્ષેપ અને અમૃત — આ પાંચ અમૂલ્ય હથિયાર માંએ આપ્યા.
પરદુઃખ ભંજન એવા વિરલ પુરુષ,
દુઃખમાં આગળ રહેતા, સુખમાં દૂર રહેતા —
પોતાનું સમગ્ર જીવન પૂજ્ય માંના ચરણોમાં સમર્પિત કરી દીધું.
સાથે પોતાના પરિવારને પણ એ જ ભક્તિમાં રંગી દીધા.
નવ વખત થરાદની યાત્રાનો પ્રયાસ કર્યો.
જેમજ પૂજ્ય માંએ આજ્ઞા આપતી કે "બેટા, થરાદ જવું છે",
તેમજ વચનનું અક્ષરશઃ પાલન કરતાં.
પ્રવાસમાં અનેક મુશ્કેલીઓ આવતી, કસોટીઓ પડતી, પણ ક્યારેય હિંમત હાર્યા નહીં કે પાછળ હટ્યા નહીં.
પોતાના ઘરના દ્વારેથી જ બસ ઉપાડતા, અને જે ભક્ત પ્રેમથી જોડાય તેને સાથે લઈ જતા.
મંદિરની પાછળ આવેલી વાવમાં જઈ વિધિ કરતાં.
મંદિરમાં શારદાબેન પર ખોટા પ્રયોગો, મંત્રો વગેરે કરાતા,
પણ " માં રાખે તેને કોઈ શું કરી શકે?"
નવમ પ્રવાસમાં, માંએ વાવડીમાં દીવો મુક્યો અને કહ્યું:
" જો દીવો તરવા લાગે તો પાછળ જોયા વગર સીધા બસમાં બેસી જજે "
દીવો તર્યો — અને માતા સંપૂર્ણ રીતે પ્રસન્ન થઈ શારદાબેનમાં પધાર્યા અને મુંબઈ આવ્યા.
છોટુભાઈના દ્વારેથી કાયમ માટે બેસણા કર્યા.
એક વખત પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ધર્મસૂરિશ્વરજી મહારાજ સાહેબ પૂજ્ય માંના દરબારે પધાર્યા.
માંનું દિવ્ય સ્વરૂપ જોઈને પ્રભાવિત થયા.
તેમણે છોટુભાઈને કહ્યું:
"આ શક્તિ અતિ મહાન છે, જગત કલ્યાણ કરનાર છે. આ શક્તિને સાચવી રાખજો અને એની માધ્યમથી ભવ્ય કાર્યો કરતા રહેજો. ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે જો આ શક્તિ આગામી 10 વર્ષ તારા અહીં પ્રસન્ન રહી જાય તો, પછી તેને કોઈ રોકી નહીં શકે. એ જગત કલ્યાણ, ધર્મ અને આત્મા ઉત્થાનના કાર્યો સતત કરતા રહેશે."
૨૫ ૧/૨ વર્ષનો સુવર્ણકાળ છોટુભાઈની હાજરીનો રહ્યો.
ખડે પગે ઊભા રહી ભક્તોના કાર્યો કરાવતા. દિવસ-રાતની પરવા કર્યા વિના,
રાત્રે પણ શારદામાં જ્યારે ભક્તોના કાર્યોની લિંક હોય, ત્યારે ફૂલ કે અમૃત જે જરૂર પડે તે આપતા.
સતત હરહંમેશ જાગૃત. ઊંઘવાનું કેવો અર્થ? આરામ કેવો?
બેઠા બેઠા ઊંઘતા, છતાં અંદરથી જાગૃત રહેતા.
અડધી રાતે જો ભક્તો દ્વારે આવતા, તો ક્યારેય નિરાશ નહિ જતાં.
દ્વારે આવેલ રડતો ભક્ત હસતો પરત જતા — એજ તેમનું જીવનધ્યેય.
કષ્ટોના હણનાર શ્રી શારદા માંની સાથે ખડે પગે હાજર રહેતા.
એટલી વેળા પોતે પણ ભોજન-પાણીનો ત્યાગ કરતા.
એક જ જગ્યા પર કાર્ય થયા પછી ત્યાં ત્રણ કલાક સુધી ન તો ભોજન લેતા, ન પाणी પીતાં, ન ઊંઘતા.
ઘરની અનુકૂળતા ન હોવા છતાં આત્માની પરમ શાંતિ માટે આવા અઘોર કાર્યો ભક્તિભાવપૂર્વક ભોગવ્યા — નિસ્વાર્થપણે.
ભક્તોને પુણ્યનું ભાથું ભરાવાવવા યાત્રા યોજી:
પાલિતાણા, કચ્છ, જેસલમેર, ગિરનાર, શંખેશ્વર, નાગેશ્વર, ભીલાડ, ભોંયણી, મહેસાણા અને મહુડી જેવા પવિત્ર સ્થળોએ ભક્તોને લઈ ગયા.
આગામી કપરોકાળ ઘણો કઠિન આવશે — એમ માંના વચનોથી જાણી
ભાવી પેઢીને તારવા માટે શારદાગ્રામ ખાતે ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું.
આ રીતે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય — ત્રણેય કાળમાં સર્વ જીવ પર અપાર કરુણાની ગંગા વહાવી.
જીવનની અંતિમ ઘડીએ , પૂજ્ય શારદા માંના ખોળામાં મસ્તક મૂકીને,
ભૂમિ સંથારો પોતાના હાથે લઈ લીધો.
પૂજ્ય માંએ કહ્યું કે, "સીમંધર સ્વામીના ધામમાં જવાનું છે,"
છોટુભાઈ મહાવીદેહ ક્ષેત્ર જવાની વાત કરતા.
ચંદનબાળાને વિદાય આપવાના ભાવથી, પ્રભુને ધ્યાનમાં લેતા,
પૂજ્ય માંના શરણમાં મુખમાં થરાદની વાવનું અમૃત પીતા —
આ જન્મમરણના ફેરાથી મુક્તિ પામ્યા.
પાલખી સુગંધિત ગુલાબના ખરા ફૂલોની મધુમધતી ખૂશબૂ સાથે, સંપૂર્ણ ચંદનના લાકડાની શીતળ સુગંધમાં પાર્થિવ દેહ વિલીન થયો. એ પાલખીની પહેલી ખાંધ પૂજ્ય માંએ પોતે આપી હતી.આ મહામાનવના સદગુણોની સૌરભ, આત્માની શ્રીમંતાઈ, પરોપકારની નિસ્વાર્થ ભાવના — સત્ય અને અહિંસાનું હથિયાર ધારણ કરીને, અંતરમાં કરુણાનું અમૃત ઝીલતાં, ઝેરનો વાટકો પણ ભાઈ છોટાલાલભાઈએ પીધો.
ઝેરના વાટકાના બે ભાગ કર્યા —
પહેલો પોતે પીધો, બીજો પોઠીયાને આપીને કહ્યું:
" માં પર ભરોસો હોય તો પી જાવ. ”
અને એ ઝેર પણ અમૃત બની ગયું.
પૂજ્ય માંના ભરોસે – એક જ વિશ્વાસ:
" જ્યાં હજાર હાથવાળી માં બેઠી હોય, ત્યાં મારે શું ચિંતા? "
આ ગૃહસ્થ સાધુને ઓળખવા માટે આત્માનું નિર્મળ દર્પણ જોઈ શકવું જોઈએ.
આ મહાન માનવનું જીવનચરિત્ર આત્માના ઓજસને પ્રકાશિત કરે છે —
જેના અજવાળે અનંત ભવના ફેરા ટળી જાય છે.
શક્તિના શરણે જીવનાર કદી મરતા નથી – તેઓ તો અમર બની જાય છે.
યુગયુગ સુધી તેઓની યાદ અમર રહે છે.
સંસારમાં રહી કાદવમાં કમળ જેવું પવિત્ર જીવન જીવ્યું.
શારદાબેનને શક્તિસ્વરૂપ આપ્યું અને "નાણશારદા માં" નું બિરુદ અપાયું.
ભગતોની સાથે સાથે સર્વે જીવમાત્રની પણ “માં” બની ગયા.
એક પૈસો લીધા વગર જગત કલ્યાણનું કાર્ય કર્યું.
મંદિર માટે કોઈ પાસે હાથ લાંબો કર્યો નહીં.
ભક્તોને માત્ર ભાવથી પ્રેર્યા,
તેમણે પણ પ્રેમપૂર્વક પોતાની શક્તિ પ્રમાણે સહયોગ આપ્યો —
અને ચમત્કારિક શક્તિસ્વરૂપ મંદિર ઊભું થયું.
અંદાજે 1989માં, પૂ. માં અને ભક્તશિરોમણી છોટુભાઈએ
આવનારી પેઢી તથા ભક્તોના કલ્યાણ માટે મંદિર બનવાની ઈચ્છા વ્યક્ત કરી.
મંદિર માટે યોગ્ય જમીન શોધવી – એ પોતે ભગીરથ કાર્ય હતું.
પણ પૂ. માંના વચન પ્રમાણે શહેરની બહાર પણ શહેરની અંદર જેવી શાંતિમય જગ્યા —
પર્વતમાળાની પાસે, દેરાસર પાસે અને દરિયા કિનારે —
એવી જગ્યા પૂજ્ય માંની કૃપાથી મળી.
આને કારણે અનેક સંકટોનો સામનો કરતાં 1995માં મંદિર સ્થાપિત થયું.
અને 2010થી સંગમર્મરના ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થયું — માંની આજ્ઞાથી.
પછી પૂજ્ય માંએ છોટુભાઈને થરાદ ગામ જવાની રજા માંગતા કહ્યું,
પણ છોટુભાઈએ મા ને પ્રેમથી રોકી લીધા:
" માં, મારું દ્વાર હવે થરાદ માની લો. ક્યાંય જવાનું નહિ.
અહીં હંમેશા માટે પ્રસન્ન રહી ભક્તોનું કલ્યાણ કરતા રહો."
પરિવારને પણ પરોપકારનો વારસો આપી ગયા.
